ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
શ્રીમતી સુશીલાબેન રવજીભાઈ પટેલ: શિક્ષણના કર્મયોગીનું વય નિવૃત્તિ સન્માન નારણપોર પ્રાથમિક શાળા, તા. ખેરગામ, જિ. નવસારીના શિક્ષકગણ, એસ.એમ.સી. સભ્યો, ગ્રામજનો અને બાળકો દ્વારા શ્રીમતી સુશીલાબેન રવજીભાઈ પટેલ, નિવૃત્ત શિક્ષિકાને સ્નેહભર્યું સન્માન આપવામાં આવ્યું છે. આ પ્રસંગે તેમની 36 વર્ષ, 6 માસ અને 8 દિવસની શિક્ષણજગતની અવિરત સેવાને યાદ કરવામાં આવી. જીવનયાત્રા અને શિક્ષણની શરૂઆત શ્રીમતી સુશીલાબેનનો જન્મ 1966માં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વંકાલ ગામે એક પ્રતિષ્ઠિત કુટુંબમાં થયો. તેમણે પ્રાથમિક શિક્ષણ વંકાલ પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શિક્ષણ વંકાલ હાઇસ્કૂલમાં મેળવ્યું. 1983માં કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી ખાતે P.T.C.ની પદવી પ્રાપ્ત કરી, તેમણે શિક્ષણ જેવા પવિત્ર વ્યવસાયમાં પગલાં માંડ્યાં. શિક્ષણની પ્રેરણાદાયી કારકિર્દી સુશીલાબેનની શિક્ષણ યાત્રા 22 ડિસેમ્બર, 1988ના રોજ આગ્રીપાડા પ્રાથમિક શાળા, તા. ઉમરગામ, જિ. વલસાડથી શરૂ થઈ, જ્યાં તેમણે 9 વર્ષ, 11 માસ અને 26 દિવસ સેવા આપી. ત્યારબાદ 19 ડિસેમ્બર, 1998થી વાવ પ્રાથમિક શાળા, તા. ખેરગામ, જિ. નવસારીમાં 23 વર્ષ, 11 માસ અને 6 દિવસ ફરજ બજાવી...